કરવેરો ભરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં આવક વેરા ધારા મુજબ તમારા રહેવાસી દરજ્જાનો વિચાર કરવામાં આવે છે. આ કાયદાની નજરમાં નાગરિકત્વ અને રહેવાસી દરજ્જો એ બન્ને અલગ અલગ બાબતો છે. ભારતીય નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ બિનરહીશ ભારતીય હોઈ શકે છે અને વિદેશી નાગરિક કરવેરાની નજરમાં ભારતીય રહેવાસી હોઈ શકે છે.
જે વ્યક્તિ કોઈ પણ નાણાકીય વર્ષના ૧૮૨ દિવસ કે તેના કરતાં વધુ સમયગાળા સુધી ભારતમાં રહી હોય એ વ્યક્તિ આવક વેરાના નિયમો અનુસાર ભારતીય રહેવાસી કહેવાય. એ જ રીતે જે વ્યક્તિ કોઈ એક વર્ષના ઓછામાં ઓછા ૬૦ દિવસ અને તેની પહેલાંનાં ચાર વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કુલ ૩૬૫ દિવસ ભારતમાં રહી હોય એ પણ ભારતીય રહેવાસી કહેવાય.
જો તમે ભારતીય નાગરિક હો, પણ રોજગાર માટે ભારતની બહાર જાઓ અથવા તમે ભારતીય જહાજના ક્રૂના સભ્ય તરીકે ભારતની બહાર જાઓ તો ઓછામાં ઓછા ૬૦ દિવસના વસવાટનો સમયગાળો વધારીને ૧૮૨ દિવસનો કરવામાં આવે છે.
આવક વેરા ધારાના નિયમો અનુસાર રહેવાસી ભારતીય અને બિનરહીશ ભારતીય ઉપરાંતની ત્રીજી શ્રેણી પણ આવે છે. એ છે ‘રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ’. જો કોઈ વ્યક્તિ અનેક વર્ષ બહારગામ રહીને થોડા સમય પહેલાં જ ભારત પાછી ફરી હોય તો એ ‘રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ’ ની શ્રેણીમાં આવી શકે.
કરવેરા ધારાની દૃષ્ટિએ કરપાત્રતા
અ) રહેવાસી ભારતીયઃ વિશ્વમાં ક્યાંય પણ આવક થઈ હોય તો એ ભારતમાં કરપાત્ર બને છે.
બ) રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટઃ ભારતમાં કમાયેલી આવક ભારતમાં કરપાત્ર બને છે.
ક) બિનરહીશ ભારતીયઃ ભારતમાં કમાયેલી આવક ભારતમાં કરપાત્ર બને છે.
દા.ત. શ્રીમતી મીનાક્ષીને વિદેશી કંપની અમેઝ કૉર્પોરેશનમાં ડિઝાઇનર તરીકે માર્ચ ૨૦૨૦માં નોકરી મળી. એમને દર મહિને ૧૦,૦૦૦ ડૉલરનો પગાર આપવાનું અને તેઓ અમેઝ માટે બેંગલુરુમાં રહીને કામ કરશે એવું નક્કી થયું. મીનાક્ષીબેન એવો દાવો કરે છે કે એમની ડિઝાઇન અમેઝ કંપની માટે બને છે અને કંપની ભારતની બહાર એનો ઉપયોગ કરે છે તથા એમને મળતો પગાર ડૉલરમાં મૂલ્યાંકિત થાય છે તેથી એમની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની આવકને ભારતની બહાર કમાયેલી આવક તરીકે ભારતમાં કરપાત્ર ગણવી જોઈએ નહીં.
અહીં એ જોવાનું છે કે સંબંધિત નાણાકીય વર્ષમાં તેઓ ૧૮૨ દિવસ કે તેના કરતાં વધુ સમય માટે ભારતમાં રહ્યાં છે. આથી તેઓ રહેવાસી ભારતીય ગણાય અને એ દરજ્જા અનુસાર વિશ્વમાં એમને ક્યાંય પણ મળેલી આવક ભારતમાં કરપાત્ર બને છે.
શ્રીમતી મીનાક્ષીના પતિ શ્રી મયંક ભારતીય જહાજમાં ક્રૂ સભ્ય છે. એમનું જહાજ ૧૫ માર્ચ ૨૦૨૦થી ૧૫ ઑક્ટોબર ૨૦૨૦ દરમિયાન વિદેશમાં હતું. એમની કંપનીએ એમનો પગાર ભારતીય બૅન્કમાંના એમના એનઆરઈ અકાઉન્ટમાં જમા કરાવ્યો. મયંકભાઈ માને છે કે તેઓ બિનરહીશ ભારતીય છે અને તેથી એમનો પગાર ભારતમાં કરપાત્ર હોઈ શકે નહીં.
આ કિસ્સામાં કહેવાનું કે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવે છે અને ભારતીય જહાજના ક્રૂ સભ્ય તરીકે ભારતની બહાર ગયા હતા. એમનો ભારતની બહારના પ્રવાસનો સમય બાદ કરીએ તો તેઓ ૧૫ ઑક્ટોબર ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીના ૧૬૭ દિવસ ભારતમાં રહ્યા. આમ, એમને બિનરહીશ ભારતીય ગણવામાં આવશે. એમનો પગાર ભારતીય બૅન્કમાં જમા થયો હોવા છતાં એના પર કરવેરો લાગુ નહીં પડે.
અહીં ખાસ જણાવવાનું કે જે બિનરહીશ ભારતીયો માર્ચ ૨૦૨૦માં ભારત આવ્યા અને કોવિડનાં નિયંત્રણોને લીધે પાછા વિદેશ જઈ શક્યા નહીં હોવાના કારણે અહીં એમણે બમણા (વિદેશમાં અને ભારતમાં) કરવેરાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ જ્યાંનું નાગરિકત્વ ધરાવે છે એ દેશ સાથેના ડીટીએએ (ડબલ ટૅક્સેસન અવોઇડન્સ એગ્રીમેન્ટ) અનુસાર એમણે સંબંધિત વિગતો સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સીસને જણાવવી જરૂરી બને છે. બોર્ડ એમને ઉક્ત એગ્રીમેન્ટના આધારે અમુક છૂટછાટ આપી શકે છે.
—————————-
પ્રશ્નઃ
હું મારાં માતાપિતા સાથે વર્ષ ૨૦૧૬ પછી પહેલી વાર માર્ચ ૨૦૨૦માં ભારત આવ્યો હતો. કોવિડનાં નિયંત્રણોને લીધે હું પાછો અમેરિકા જઈ શક્યો નહીં. હું ઑગસ્ટ ૨૦૨૦ સુધી અમેરિકન કંપની માટે ભારતમાં રહીને કામ કરતો હતો અને અમેરિકાના કરવેરા તંત્રના નિયમ મુજબ મેં કરવેરો ભર્યો હતો. હું ૩૧ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ અમેરિકા પાછો ફર્યો. ભારતમાં રહ્યો એ દરમિયાન મને ભારતની બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર ૮,૦૦૦ રૂપિયાની વ્યાજની આવક થઈ હતી.
ઉત્તરઃ
ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળની વ્યક્તિ નીચે જણાવ્યા પ્રમાણેની સ્થિતિમાં ભારતીય રહેવાસી બને છેઃ
જો વ્યક્તિને કોઈ પણ નાણાકીય વર્ષમાં ભારતીય સ્રોતોમાંથી (વિદેશી સ્રોતોમાંથી ન થઈ હોય તેના સિવાયની આવક) ૧૫ લાખ રૂપિયા કરતાં વધારે હોય અને (૧) તેઓ સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન ૧૮૨ દિવસ કે તેના કરતાં વધુ સમય સુધી ભારતમાં રહી હોય અથવા (૨) સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન ૧૨૦ દિવસ કે તેના કરતાં વધુ સમય સુધી અને તેની પહેલાંનાં ચાર વર્ષ દરમિયાન કુલ ૩૬૫ વર્ષ કે વધુ સમય સુધી ભારતમાં રહી હોય.
તમારા કિસ્સામાં ભારતીય સ્રોતોમાંથી થયેલી આવક ૧૫ લાખ રૂપિયા કરતાં ઓછી છે અને તમે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૧૨૦ દિવસ કરતાં વધુ રહ્યા છો, પરંતુ પાછલાં ચાર વર્ષમાં ૩૬૫ દિવસ કરતાં વધુ સમય રહ્યા નથી. તમે અમેરિકામાં કરવેરો ભર્યો છે. આથી તમે આવક વેરાની દૃષ્ટિએ ભારતીય રહેવાસી નહીં, પરંતુ બિનરહીશ ભારતીય જ ગણાઓ.
————————————–
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત