નૅશનલ પેન્શન સ્કીમમાં રોકાણ જેટલો જ અગત્યનો મુદ્દો એમાંથી ઉપાડ કરવાને લગતો છે
એનપીએસ (નૅશનલ પેન્શન સ્કીમ)માં રોકાણ કરવાનો મુદ્દો જેટલો અગત્યનો છે એટલો જ મહત્ત્વપૂર્ણ મુદ્દો એમાંથી નાણાંનો ઉપાડ કરવાનો કે એમાંથી બહાર નીકળી જવાનો છે. એનપીએસ નિવૃત્તિકાળ માટેની યોજના છે તેથી એમાં રોકાયેલાં નાણાં નિવૃત્તિકાળમાં એકસામટાં નહીં, પણ દર મહિનાની પેન્શનની આવકના સ્વરૂપે મળે એવા નિયમો ઘડવામાં આવ્યા છે. આમ, એનપીએસમાં જમા થયેલી રકમ એકસામટી ઉપાડવા દેવાતી નથી.
જો સબસ્ક્રાઇબર ૧૮થી ૬૦ વર્ષની વચ્ચે એનપીએસમાં જોડાયા હોય તો એમની ૬૦ વર્ષની ઉંમરે અથવા સેવાના નિયમો મુજબ નક્કી થયેલી નિવૃત્તિની ઉંમરે તેમણે જમા થયેલી રકમના ઓછામાં ઓછા ૪૦ ટકા રકમનો એન્યુઇટી ખરીદવા માટે કરવો જરૂરી છે. બાકીના ૬૦ ટકા રકમ જ એકસામટી ઉપાડી શકાય છે. એન્યુઇટીની ખરીદી માટે વપરાતી રકમ અને એકસામટા ઉપાડની રકમ કરવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત છે. જોકે, એન્યુઇટીમાંથી જે આવક (પેન્શન) મળે એને રોકાણકારને લાગુ પડતા સ્લેબના આધારે કરવેરો લાગુ પડે છે. સબસ્ક્રાઇબર ધારે તો નાણાંનો ઉપાડ પોતાની ૭૦ વર્ષની ઉંમર સુધીમાં ગમે ત્યારે કરી શકે એવી પણ સુવિધા આપવામાં આવી છે.
એન્યુઇટીની ખરીદી ત્રણ વર્ષ સુધી પાછળ ઠેલી શકાય, ઉપાડ દસ હિસ્સામાં કરી શકાય, ૭૦ વર્ષની ઉંમર સુધી નાણાં જમા કરી શકાય એવા પણ કેટલાક વિકલ્પો એનપીએસ હેઠળ આપવામાં આવ્યા છે. જો જમા થયેલું ભંડોળ બે લાખ રૂપિયા કરતાં ઓછું હોય તો આખી રકમ ઉપાડી શકાય છે અને એ કરમુક્ત રહે છે. જો સબસ્ક્રાઇબર ૬૦-૬૫ વર્ષની ઉંમર વચ્ચે એનપીએસમાં જોડાયા હોય તો ત્રણ વર્ષ એમાં રહ્યા બાદ બહાર નીકળી શકે છે. બાકીની જોગવાઈઓ મોટાભાગે સમાન રહે છે.
અહીં જણાવવું રહ્યું કે ખાતું ખોલાવ્યાની તારીખથી ૧૦ વર્ષ પૂરાં થયાં હોય તો ૬૦ વર્ષની ઉંમર પહેલાં કે નિવૃત્તિ પહેલાં પણ રોકાણકાર એનપીએસમાંથી બહાર નીકળી શકે છે. એ સંજોગોમાં જમા થયેલી રકમમાંથી ૨૦ ટકા રકમનો જ ઉપાડ કરી શકાય છે. બાકીની ૮૦ ટકા રકમનો ઉપયોગ એન્યુઇટીની ખરીદી માટે કરવાનો રહે છે.
એ સ્થિતિમાં ઉપાડની રકમ તથા એન્યુઇટી ખરીદવા માટે વપરાયેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત રહે છે. જોકે, એન્યુઇટીની આવક (પેન્શન) રોકાણકારને લાગુ પડતા આવક વેરાના સ્લેબ પ્રમાણે કરપાત્ર બને છે. આ સંજોગોમાં જો જમા થયેલી રકમ એક લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે અને એ કરમુક્ત રહે છે.
જો સબસ્ક્રાઇબર ૬૦-૬૫ વર્ષની ઉંમરની વચ્ચે એનપીએસમાં જોડાયા હોય અને ત્રણ વર્ષ પૂરાં થવા પહેલાં બહાર નીકળી જવા માગતા હોય તો ઉપર જણાવ્યું એ જ જોગવાઈઓ લાગુ પડે છે.
એનપીએસમાં આંશિક ઉપાડની પણ સુવિધા છે. સબસ્ક્રાઇબર જમા થયેલી રકમમાંથી પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ વખત ઉપાડ કરી શકે છે. અમુક નિશ્ચિત સંજોગોમાં જ આંશિક ઉપાડ કરી શકાય છે, દા.ત. સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે, ઘરની ખરીદી/બાંધકામ માટે, ગંભીર બીમારીની સારવાર માટે.
પહેલી વખતનો ઉપાડ ખાતું ખોલાવ્યાનાં ત્રણ વર્ષ બાદ કરી શકાય છે. બીજા બે ઉપાડ વચ્ચે ઓછામાં ઓછાં પાંચ વર્ષનો સમયગાળો હોવો જોઈએ. દરેક વખતે ઉપાડ રોકાણકારે પોતે એનપીએસમાં જમા કરેલી રકમના ૨૫ ટકા કરતાં વધારે હોવો જોઈએ નહીં. આંશિક ઉપાડ કરમુક્ત હોય છે.
એનપીએસના સબસ્ક્રાઇબરનું નિધન થવાના સંજોગોમાં એમના નોમિની/કાનૂની વારસદાર જમા થયેલી રકમ ક્લેમ કરી શકે છે. નોમિની/કાનૂની વારસદાર પૂરેપૂરી રકમ ઉપાડી શકે છે અને એ રકમ કરમુક્ત હોય છે. વળી, નોમિની/કાનૂની વારસદાર જમા થયેલી રકમમાંથી એન્યુઇટી પણ ખરીદી શકે છે. પેન્શનની આવક નોમિની/કાનૂની વારસદારને લાગુ પડતા કરવેરાના સ્લેબ અનુસાર કરપાત્ર રહે છે.
—————————————-
પ્રશ્નઃ મેં એપ્રિલ ૨૦૧૭માં એનપીએસમાં રોકાણ કરવાની શરૂઆત કરી. એ વખતે મારી ઉંમર ૨૫ વર્ષની હતી. હવે હું ઘરની ખરીદી માટે આંશિક ઉપાડ કરવા માગું છું. એનપીએસમાં મારું યોગદાન બે લાખ રૂપિયા છે અને જમા થયેલી રકમ ત્રણ લાખ રૂપિયા છે. શું હું એનપીએસમાંથી ઉપાડ કરી શકું? શું એ કરપાત્ર હશે?
ઉત્તરઃ એનપીએસમાંથી નિશ્ચિત કારણોમાંથી કોઈ કારણસર ત્રણ વર્ષ પૂરાં થયા બાદ ઉપાડ થઈ શકે છે. એક કારણ ઘરની ખરીદીનું પણ છે તથા તમે ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી ઘરની ખરીદી માટે ઉપાડ કરી શકો છો. તમે પોતાના યોગદાનના ૨૫ ટકા જેટલી રકમનો ઉપાડ કરી શકશો. તમે કુલ ૫૦,૦૦૦ રૂપિયાનો ઉપાડ કરી શકશો (તમારા પોતાના યોગદાનના ૨૫ ટકા, જમા રકમના નહીં, અર્થાત્ ૨,૦૦,૦૦૦ના ૨૫ ટકા).
—————————————
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત