ટમેટું એક ફળ છે એની તમને જાણકારી હોવી એ માહિતી કહેવાય અને ટમેટું ફળ હોવા છતાં એને ફ્રૂટ સલાડમાં નખાય નહીં એ સમજદારી કહેવાય. આ જ રીતે કરવેરાની બચત કરવા માટેનાં સાધનો કયાં છે એની જાણકારીને માહિતી કહેવાય, પણ પર્સનલ ફાઇનાન્સનાં લક્ષ્યોને અનુરૂપ રોકાણ કરીને કરની બચત કરવી એને સમજદારી કહેવાય. કોઈ પણ રોકાણનું લક્ષ્ય કરવેરાની બચત ન હોવું જોઈએ. કરવેરાની બચત તો પર્સનલ ફાઇનાન્સ એટલે કે વ્યક્તિગત નાણાકીય આયોજનની આડપેદાશ હોય છે.
કરવેરાની બચત માટે મોટાભાગના પગારદાર લોકો આવક વેરા ધારાની કલમ ૮૦સીનો ઉપયોગ કરતા હોય છે. વર્ષે કરપાત્ર આવકમાંથી દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. તમારી આવકમાંથી જીવન વીમાનું પ્રીમિયમ ભરાયું હોય, તમે પાંચ વર્ષ કે તેનાથી વધુ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી હોય, મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી લિંક્ડ સૅવિંગ્સ સ્કીમમાં રોકાણ કર્યું હોય, એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડમાં નાણાં જમા કરાવ્યાં હોય, બાળકોના શિક્ષણની ફી ભરી હોય, વગેરે જેવા ખર્ચ માટે એકંદરે દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન મળે છે.
ઉપરોક્ત વિકલ્પોમાંથી સૌથી સારો વિકલ્પ કયો એ તમે જાણો છો?
વાસ્તવમાં, બધાને લાગુ પડે એવો સર્વોત્તમ વિકલ્પ કોઈ હોતો નથી. વ્યક્તિગત નાણાકીય આયોજન તેના નામ મુજબ વ્યક્તિગત હોવું ઘટે. આથી જેમ પાંચે આંગળીઓ સરખી હોતી નથી એમ દરેક વ્યક્તિ માટે સર્વોત્તમ વિકલ્પ કોઈ એક હોઈ શકે નહીં.
આપણે ઉપરોક્ત મુદ્દાને એક ઉદાહરણ દ્વારા સમજીએઃ
ધારો કે અભિષેક શાહની બિઝનેસની ચોખ્ખી આવક ૧૦ લાખ રૂપિયા છે. તેઓ જીવન વીમાનું ૩૦,૦૦૦ રૂપિયાનું પ્રીમિયમ ભરે છે અને ૧.૨૦ લાખ રૂપિયા કરબચત માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકવા માગે છે. કરવેરો બચાવવાના એકમાત્ર ઉદ્દેશ્યથી રોકાણ કરવામાં આવે એમાં સમજદારી ન કહેવાય. ખરી રીતે તો એમણે પોતાનાં નાણાકીય લક્ષ્યોની સાથે રોકાણનો સમન્વય કરવો જોઈએ. તો ચાલો, આપણે એમનાં વ્યક્તિગત નાણાકીય લક્ષ્યો પર એક નજર કરી લઈએ.
તેઓ ઈમરજન્સી ફંડ માટે પાંચ લાખ રૂપિયા ભેગા કરવા માગે છે. એમની ત્રણ વર્ષની દીકરી હોવાથી એના ઉચ્ચ શિક્ષણ માટે તેઓ આગામી ૧૫ વર્ષમાં એક કરોડ રૂપિયા એકઠા કરવા માગે છે.
વ્યક્તિગત નાણાકીય આયોજનની દૃષ્ટિએ સૌથી પહેલાં એમણે ઈમરજન્સી ફંડના પાંચ લાખ રૂપિયા જમા કરવા જોઈએ. આ રકમ તેઓ સૅવિંગ્સ ખાતામાં કે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં જમા કરાવી શકે છે. અમુક ખાનગી બૅન્કો સૅવિંગ્સ અકાઉન્ટમાં છ ટકા વ્યાજ આપે છે, જે સરકારી બૅન્કોના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર જેટલો જ દર હોય છે. સૅવિંગ્સ અકાઉન્ટમાં એમને મળનારું વ્યાજ ૧૦,૦૦૦ રૂપિયા સુધી આવક વેરા ધારાની કલમ ૮૦ટીટીએ હેઠળ કરમુક્ત હોય છે. આ લાભ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજને લાગુ પડતો નથી.
હવે આપણે એમની દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે આવશ્યક રકમ જમા કરવા વિશે વિચાર કરીએ. જો તેઓ અંદાજે ૧૦ ટકાનું વળતર આપનારા સાધનમાં રોકાણ કરે તો એમણે દર મહિને ૨૪,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડે.
અભિષેક શાહને દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે આવશ્યક નાણાં લાંબા ગાળે જોઈએ છે. તેઓ યુવાન હોવાથી જોખમ વધારે હોય એવું રોકાણ કરી શકે છે. આથી એમના માટે ૭૦ ટકા બચતનું રોકાણ ઈક્વિટીમાં કરવાનો વિકલ્પ યોગ્ય રહેશે. બાકીની ૩૦ ટકા બચત તેઓ ડેટ સાધનમાં રોકી શકે છે. ઈક્વિટી પર ૧૨ ટકા અને ડેટમાં ૭ ટકા લેખે વળતર મળશે એવું ધારી લઈએ તો એમને સંપૂર્ણ પોર્ટફોલિયો પર આશરે ૧૦ ટકા વેઇટેડ એવરેજના હિસાબે વળતર મળશે.
આમ, તેઓ ૨૪,૦૦૦ રૂપિયાની માસિક બચતમાંથી ૧૬,૮૦૦ રૂપિયા ઈક્વિટીમાં રોકી શકે છે. એમાંથી ૮,૭૫૦ રૂપિયા ઈક્વિટી લિંક્ડ સૅવિંગ્સ સ્કીમમાં રોકીને તેઓ આવક વેરા ધારાની કલમ ૮૦સી હેઠળ ડિડક્શન મેળવીને કરબચત કરી શકે છે. બાકીના ૮,૦૫૦ રૂપિયાનું ઈક્વિટીમાં પ્રત્યક્ષપણે અથવા ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરી શકે છે. ઈક્વિટી લિંક્ડ સૅવિંગ્સ સ્કીમ કે પ્રત્યક્ષ ઈક્વિટીમાંથી રોકાણનું રિડેમ્પશન કરતી વખતે એમનો એક લાખ રૂપિયા સુધીનો કૅપિટલ ગેઇન કરમુક્ત રહેશે.
ડેટ સાધનોમાં રોકવા માટે બાકી રહેતા ૭,૨૦૦ રૂપિયાનું રોકાણ તેઓ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટની તુલનાએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બે મુખ્ય દૃષ્ટિએ લાભદાયક છે. એક, ડેટ સાધનમાં કરાયેલા રોકાણને ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. આ દૃષ્ટિએ કરવેરા બાદનું તેના પરનું વળતર ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ મળતું હોય છે. બે, ફિક્સ્ડ ડિપોઝિટમાં દર વર્ષે ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કપાય છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રિડેમ્પશન વખતે જ કરવેરો લાગુ પડે છે. આમ, તમારી કરની જવાબદારી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પાછળ ઠેલાય છે. લાંબા ગાળા સુધી આ રોકાણ જાળવી રાખવાનું લાભદાયક હોય છે.
આમ, અભિષેક શાહ સમજદારીપૂર્વક રોકાણ કરીને કરવેરાની મહત્તમ બચત કરી શકે છે તથા કરવેરા બાદનું વળતર વધારે મળે એવી ઍસેટમાં રોકાણ રાખી શકે છે.
————
પ્રશ્નઃ હું યુનિટ લિંક્ડ ઇન્સ્યૉરન્સ પ્લાન (યુલિપ)માં રોકાણ કરવા માગું છું. આ પોલિસીનું પ્રીમિયમ ત્રણ લાખ રૂપિયા છે. હું આ પોલિસી લઈને ૧.૫ લાખ રૂપિયા સુધીનું કલમ ૮૦સી હેઠળનું ડિડક્શન મેળવી શકીશ. શું મારે કરવેરાની દૃષ્ટિએ બીજો કોઈ વિચાર કરવો જોઈએ?
ઉત્તરઃ અગાઉના નિયમો મુજબ યુલિપમાં પોલિસી પાકે ત્યારે મળતી રકમ કરમુક્ત હતી. વર્તમાન વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ પછી જે પોલિસીમાં પ્રીમિયમની રકમ ૨.૫ લાખ રૂપિયા કરતાં વધારે હશે એમાં રિડેમ્પશન વખતે ઈક્વિટીમાં લાગુ પડતા લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ પર લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડશે. હાલ ૧ લાખ રૂપિયા કરતાં વધુ નફો થયો હોય તો એક લાખ રૂપિયા ઉપરની રકમ પર ૧૦ ટકા વત્તા સેસના આધારે કરવેરો લાગુ પડે છે. જો યુલિપ પોલિસીના ધારકનું અવસાન થાય તો એમના નોમિનીને મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે.
————————
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત