કૅપિટલ ઍસેટ્સ કેટલો સમય રાખીને વેચવામાં આવે છે એના આધારે લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એલટીસીજી) કે શોર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એસટીસીજી) લાગુ પડે છે. આ નફા પરનો કરવેરો ટૅક્સ લોસ હાર્વેસ્ટિંગ નામની રીતથી ઘટાડી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ કે શેરનું વેચાણ કરતી વખતે જો ખોટ ગઈ હોય તો એને કૅપિટલ ગેઇન્સ ભરવાની જવાબદારી સામે મજરે લઈ શકાય છે. ટૅક્સ લોસ હાર્વેસ્ટિંગ માટે ખોટમાં વેચાણ કરીને ફરીથી વેચાણના જ પ્રમાણમાં ખરીદી કરીને પોર્ટફોલિયોને ફરીથી સરભર કરી શકાય છે. ધારો કે તમે એપ્રિલ, ૨૦૧૮માં લિસ્ટેડ શેરમાં ૬ લાખ રૂપિયાનું અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્રિલ ૨૦૨૦માં તમારા શેરનું મૂલ્ય ૪.૫ લાખ અને મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટ્સનું મૂલ્ય ૫ લાખ રૂપિયા થઈ ગયું અને તમે મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટ્સ વેચવા માગો છો.
તમારાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના રિડેમ્પશન પરનો એલટીસીજી ૨ (૫-૩) લાખ રૂપિયા થાય. એમાંથી ૧ લાખ રૂપિયાનો નફો કરમુક્ત કહેવાય. બાકીના નફા પર ૧૦ ટકા લેખે એલટીસીજી ટૅક્સ અને ૪ ટકા સેસ મળીને ૧૦,૪૦૦ રૂપિયા ચૂકવવાના નીકળે.
૩૧ માર્ચ, ૨૦૧૮ની પહેલાં શેર અને ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ન હતો. આથી લોંગ ટર્મ લોસ પણ ગણતરીમાં લઈ શકાતો ન હતો. ઈક્વિટીના સોદાઓમાં જો કોઈ નુકસાન થતું તો તેને ડેડ લોસ ગણવામાં આવતો. ૩૧ માર્ચ, ૨૦૧૮ પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે નફો કે નુકસાન બન્નેને ગણતરીમાં લેવામાં આવે છે. ઈક્વિટી શેર કે ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારોમાં ૧ લાખ રૂપિયા કરતાં વધુનો નફો કરપાત્ર બને છે. લોંગ ટર્મ કૅપિટલ લોસને ગણતરીમાં લેવાનું શક્ય હોવાથી એને એલટીસીજીની સામે મજરે લઈ શકાય છે અર્થાત્ સેટ ઓફ કરી શકાય છે.
ઉપરોક્ત ઉદાહરણના આધારે કહી શકાય કે તમે લાંબા ગાળા માટે શેર રાખી મૂકવા માગતા હોવા છતાં તમારે કરવેરાની બચત માટે શેરનું એક વખત વેચાણ કરી દેવું અને પછી બેથી ત્રણ દિવસની અંદર જ એ શેર પાછા ખરીદી લેવા. આ રીતે વેચાણ અને ખરીદી કરવાથી તમારા રોકાણના મૂલ્ય પર વધારે અસર નહીં થાય. તમે શેરનું વેચાણ કરીને ૧.૫ લાખ રૂપિયાનો જે લોંગ ટર્મ કૅપિટલ લોસ કરશો એને તમે મ્યુચ્યુઅલ ફંડના રિડેમ્પશને કારણે મળેલા ૨ લાખ રૂપિયાના કૅપિટલ ગેઇનની સામે મજરે લઈ શકાશે. ૨ લાખ રૂપિયાના આ એલટીસીજીમાંથી તમે ૧.૫ લાખની ખોટની બાદબાકી કરો તો તમને ૫૦,૦૦૦ રૂપિયાનો એલટીસીજી થયો કહેવાય. આ રકમ ૧ લાખ રૂપિયા કરતાં ઓછી હોવાને કારણે તમને એના પર એલટીસીજી ટૅક્સ લાગુ પડતો નથી.
ધારો કે તમને મળેલા એલટીસીજી કરતાં લોસ વધારે છે તો તમે વધારાનો લોસ પછીનાં વર્ષોમાં પણ મજરે લઈ શકો છો. કરવેરા ધારા હેઠળ તમે આઠ એસેસમેન્ટ વર્ષ સુધી ખોટ મજરે લઈ શકો છો. અહીં ખાસ યાદ રાખવું કે તમે આવક વેરાનું રિટર્ન તેની ડ્યુ ડેટની પહેલાં ભર્યું ન હોય તો તમે સંબંધિત વર્ષની ખોટને કૅરી ફોરવર્ડ કરી શકો નહીં.
ઉપરાંત, એ પણ નોંધવું ઘટે કે એલટીસીજીને લોંગ ટર્મ કૅપિટલ લોસ અને શોર્ટ ટર્મ કૅપિટલ લોસની સામે મજરે લઈ શકાય છે. શોર્ટ ટર્મ કૅપિટલ ગેઇનને ફક્ત શોર્ટ ટર્મ કૅપિટલ લોસ સામે મજરે લઈ શકાય છે. સેટ ઑફ લેવા માટે ઍસેટના પ્રકાર ધ્યાનમાં લેવાની જરૂર નથી અર્થાત્ તમે ડેટ, રિયલ એસ્ટેટ કે સોનામાં મળેલા લાભને ઈક્વિટીમાં થયેલા નુકસાનની સામે મજરે લઈ શકો છો.
—————
પ્રશ્નઃ મેં એપ્રિલ, ૨૦૦૧માં ૧ લાખ રૂપિયામાં પ્લોટ ખરીદ્યો હતો અને આ વર્ષે ૫ લાખ રૂપિયામાં એ વેચી દીધો છે. ઇન્ડેક્સેશન બેનિફિટ લાગુ કર્યા પછી આ વેચાણ પર ૧.૯૯ લાખ રૂપિયાનો એલટીસીજી થાય છે. શું હું આ સંજોગોમાં મારી કરવેરાની જવાબદારી ઘટાડી શકું? ઉપરાંત, મેં ૮ મહિના પહેલાં પ્રતિ શેર ૨૦૦ રૂપિયાના ભાવે લિસ્ટેડ કંપનીના ૧,૫૦૦ શેર ખરીદ્યા હતા. આ શેરનો ભાવ હાલ પ્રતિ શેર ૨૦ રૂપિયા છે.
જવાબઃ તમે ૨૪ મહિના કરતાં વધુ સમય સુધી રાખ્યા બાદ પ્લોટ વેચ્યો હોવાથી એ વેચાણ પર એલટીસીજી લાગુ પડે છે. ઇન્ડેક્સેશન બાદના મૂલ્ય ૧.૯૯ લાખ પર તમને ૨૦ ટકા લેખે એલટીસીજી ટૅક્સ અને ૪ ટકા સેસ મળીને ૪૧,૩૯૨ રૂપિયાનો કરવેરો લાગુ પડે છે. તમે લિસ્ટેડ કંપનીના જે શેર ખરીદ્યા છે તેમાંથી ૧,૧૧૦ શેર વેચીને ૧,૯૯,૮૦૦ રૂપિયા (ખરીદી મૂલ્ય ૨,૨૨,૦૦૦ – વેચાણ મૂલ્ય ૨૨,૨૦૦ રૂપિયા)નો લોસ બુક કરી શકો છો. આ લોસને તમે ૧,૯૯,૦૦૦ રૂપિયાના એલટીસીજીની સામે મજરે લઈ શકો છો. આમ, તમારી કરવેરાની જવાબદારી શૂન્ય થઈ જશે. તમે ૮૦૦ રૂપિયાનો શોર્ટ ટર્મ કૅપિટલ લોસ કૅરી ફોરવર્ડ કરી શકો છો અને આવતાં આઠ વર્ષ સુધી એને એલટીસીજીની સામે સેટ ઑફ કરી શકો છો.
—————-
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત