રોકાણ કરનાર વ્યક્તિએ ઇન્ડેક્સેશન વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે, કારણ કે તેની મદદથી કરવેરાની બચત કરવાનું આસાન બને છે. ચાલો, આજે આપણે ઇન્ડેક્સેશન વિશે વાત કરીએ, પરંતુ તેને સમજતાં પહેલાં ફુગાવા વિશે સમજવું આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં ચીજવસ્તુઓ અને સર્વિસીસના ભાવમાં વધારો થતો જ હોય છે. દા.ત. ગઇકાલે જે વસ્તુ ધારો કે ૯૦ રૂપિયામાં મળતી હતી એ આજે ૧૦૦માં મળે છે અને શક્ય છે કે એક મહિને એનો ભાવ વધીને ૧૧૦ રૂપિયા થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે આજના ૧૦૦ રૂપિયા એ જ વસ્તુ ખરીદવા માટે એક મહિના પછી ઓછા પડશે. આમ, વસ્તુના વધતા ભાવ એટલે કે ફુગાવાને લીધે સમય જતાં રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું કહેવાય.
છેલ્લાં ૪૦ વર્ષનો આપણો અનુભવ કહે છે કે ફુગાવાનો દર વાર્ષિક છથી સાત ટકાનો રહ્યો છે. ૧૯૮૦માં જેટલી વસ્તુઓ ૬,૩૦૦ રૂપિયામાં ખરીદી શકાતી હતી એટલી વસ્તુઓની ખરીદી કરવા માટે ૨૦૨૧માં ૧ લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આના પરથી કહી શકાય કે ફુગાવાને લીધે પૈસાની ખરીદશક્તિ ઘટતી જાય છે.
હવે આપણે ઇન્ડેક્સેશન તરફ વળીએ. ધારો કે તમે માર્ચ ૨૦૧૧માં એક ઘર ૨૫ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું અને માર્ચ ૨૦૨૧માં ૬૦ લાખ રૂપિયામાં એ વેચી દીધું. આમ, તમને એ ઘરના વેચાણ પર ૩૫ લાખ રૂપિયાનો લાભ થયો. ફુગાવાને કારણે ઘરની સાથે સાથે બીજી વસ્તુઓના પણ ભાવ વધી ગયા છે તેથી તમને ૩૫ લાખ રૂપિયા પર કરવેરો ચૂકવવાનું કહેવામાં આવે તો એ નહીં ગમે. એટલું જ નહીં, તમને ૩૫ લાખ રૂપિયા પર કર ચૂકવવાનું કહેવામાં આવે એ અનુચિત પણ કહેવાશે. આથી જ સરકાર ઇન્ડેક્સેશનનો લાભ આપે છે. ઇન્ડેક્સેશનમાં તમને ફુગાવાની અસર મુજબ ઘરની ખરીદીનો ભાવ વધારવાની (ઇન્ડેક્સ કરવાની) છૂટ આપવામાં આવે છે. તમે આ રીતે ખરીદીનો ભાવ વધું ગણી શકતા હોવાથી ઘરના વેચાણ પર મળતો નફો ઓછો થઈ જાય અને નફો ઓછો ગણાવાથી કરવેરો પણ ઓછો લાગુ પડે.
ઇન્ડેક્સેશનનો લાભ લાંબા ગાળાની મૂડીગત ઍસેટ્સ માટે મળે છે. સરકાર દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (સીઆઇઆઇ) જાહેર કરે છે અને આવક વેરા ખાતાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપર જણાવ્યું એમ ઇન્ડેક્સેશનની મદદથી તમે ભૂતકાળમાં ખરીદેલી ઍસેટના ખરીદભાવને ઇન્ડેક્સ સાથે સાંકળીને ખરીદભાવ વધારે ગણી શકો છો. આ રીતે ખરીદી અને વેચાણ વચ્ચેના સમયગાળામાં થયેલા ફુગાવા (વધેલી મોંઘવારી)ની અસર ભાવમાં ઝિલાઈ જાય છે.
ઇન્ડેક્સેશન કરાયેલા (ઇન્ડેક્સ્ડ) ખરીદભાવની ગણતરી કરવા માટે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય છેઃ (ઍસેટની ખરીદીનો ભાવ ÷ ખરીદીના વર્ષનો સીઆઇઆઇ × વેચાણના વર્ષનો સીઆઇઆઇ).
આપણે ઉપર જોયેલા ઉદાહરણના આધારે ગણતરી કરીએ. આપણો ખરીદીનો ભાવ ૨૫ લાખ રૂપિયા છે. ખરીદીના વર્ષનો સીઆઇઆઇ ૧૬૭ અને વેચાણના વર્ષનો સીઆઇઆઇ ૩૦૧ છે. ઉપરોક્ત સમીકરણ પ્રમાણે ઘરનો ઇન્ડેક્સેશન કરાયેલો ખરીદભાવ ૪૫ લાખ રૂપિયા (૨૫ ÷ ૧૬૭ × ૩૦૧) થાય છે. આમ, ઇન્ડેક્સેશન અનુસાર તમારો નફો ૩૫ લાખ રૂપિયા નહીં, પણ ૧૫ લાખ (૬૦-૪૫) રૂપિયા થાય છે.
ઇન્ડેક્સેશનની મદદથી તમે રોકાણ પર વધારે કમાણી કરી શકો છો. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે રામે માર્ચ ૨૦૧૬માં ફિક્સ્ડ ડિપોઝિટમાં ૫ વર્ષની મુદત માટે ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર ૭ ટકા હતો. એ જ વખતે શ્યામે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. યોગાનુયોગે, શ્યામના મ્યુચ્યુઅલ ફંડમાં પણ માર્ચ ૨૦૨૧માં પૂરા થયેલા ૫ વર્ષના સમયગાળા માટે ૭ ટકાના સંકલિત વાર્ષિક દરે વળતર મળ્યું. આમ, રામ અને શ્યામને પોતાના આ રોકાણ પર ૧૪,૦૨,૫૫૨ રૂપિયા મળ્યા. આમ, કરવેરો લાગુ પડતાં પૂર્વેનો એમનો લાભ ૪,૦૨,૫૫૨ રૂપિયા થયો. હવે ધારો કે રામ અને શ્યામ બન્ને આવક વેરાના ૩૦ ટકાના સ્લેબમાં આવે છે. આથી એમને મળેલા લાભ પર ૩૦ ટકાના કર ઉપરાંત સેસ સહિત ૧,૨૫,૫૯૬ રૂપિયાનો કરવેરો ચૂકવવાનો આવે.
શ્યામે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોવાથી એમને બમણો લાભ મળે છે. એક, લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ પર ૨૦ ટકાના દરે લોંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવાનો હોય છે. બે, એમને ઇન્ડેક્સેશનનો પણ લાભ મળે છે.
ડેટ ફંડની દૃષ્ટિએ ૩૬ મહિના કે તેના કરતાં વધુ સમયગાળો લોંગ ટર્મ કહેવાય છે. શ્યામે ઇન્ડેક્સેશનના લાભને કારણે ફક્ત ૫૪,૫૧૮ રૂપિયાનો કરવેરો ભરવો પડશે. ઇન્ડેક્સેશનને કારણે કરવેરા માટે ખરીદભાવ ૧૦ લાખને બદલે ૧૧,૮૫,૦૩૯ રૂપિયા (૧૦ લાખ ÷ ૨૫૪ × ૩૦૧) ગણાય છે.
આવક વેરાની દૃષ્ટિએ કૅપિટલ ગેઇન ૪,૦૨,૫૫૨ રૂપિયા નહીં, પણ ઇન્ડેક્સેશન લાગુ કરવાથી ૨,૧૭,૫૧૩ રૂપિયા થાય અને એના પર ૨૦ ટકા વત્તા સેસના આધારે ૪૫,૨૪૨ રૂપિયાનો કરવેરો થાય. શ્યામને આવક વેરાની જાણકારી અને ઇન્ડેક્સેશનના લાભને કારણે કરવેરામાં ૮૦,૩૫૪ રૂપિયાની બચત થાય છે.
અહીં જણાવવું રહ્યું કે ઇન્ડેક્સેશન બેનિફિટ સોનું, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, ઘર, વગેરે જેવી લોંગ ટર્મ કૅપિટલ ઍસેટ્સ પર મળે છે.
————————
પ્રશ્નઃ મેં વર્ષ ૨૦૧૯ના મે મહિનામાં ઘર ખરીદ્યું હતું. હું આજે એ ઘર વેચી કાઢું તો મને ઇન્ડેક્સેશન બેનિફિટ મળે? મને થતા લાભ પર મારે કેટલો કરવેરો ભરવાનો આવશે?
ઉત્તરઃ સામાન્ય રીતે જે ઍસેટ એની ટ્રાન્સફરની તારીખના આગલા દિવસ સુધીમાં ૩૬ મહિના કરતાં વધુ સમય પૂરો કરી ચૂકી હોય એને લોંગ ટર્મ કૅપિટલ ઍસેટ કહેવાય છે. જોકે, ઘરની બાબતમાં આ નિયમ અલગ છે. તમે કોઈ પણ ઘર ૨૪ મહિના કે તેના કરતાં વધુ સમય સુધી રાખો તો એને લોંગ ટર્મ કૅપિટલ ઍસેટ કહેવાય છે. તમારા કિસ્સામાં તમારે ઇન્ડેક્સેશનનો લાભ લીધા બાદ ૨૦ ટકા લેખે કરવેરો ચૂકવવો પડશે.
—————————-
નીતેશ બુદ્ધદેવ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કરવેરા અને પર્સનલ ફાઇનાન્સ ક્ષેત્રના નિષ્ણાત